।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।।
રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી
(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)
સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.
ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી ।
કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।।
ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧)
વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી ।
ક્રીડારસાવેશતમોડભિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૨।।
વ્રજની ગોપીઓના યૂથમાં હંમેશાં વિહાર કરનારા, પોતાના શ્રીઅંગના અવયવોના તેજથી ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૨)
વેણુસ્વનાનંદિતપન્નગારી, રસાતલાનૃત્યપદપ્રચારી ।
ક્રીડન્ વયસ્યાકૃતિદૈત્યમારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૩।।
વાંસળીના શબ્દથી મયૂરોને નચાવનારા, રસાતલમાં પણ નૃત્ય પદને પ્રસારનારા, ક્રીડામાં વત્સાસુર દૈત્યનો સંહાર કરનારા, એવા શ્રીગિરિરાજધરણે શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૩)
પુલિન્દદારાહિતશમ્બરારી, રમાસદોદારદયાપ્રકારી ।
ગોવર્ધનેકન્દફલોપહારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૪।।
ભીલડીઓના હિતને માટે શંબર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કન્દ અને ફળોને આરોગનારા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૪)
કલિન્દજાકૂલદુકૂલહારી, કુમારિકાકામકલાવિતારી ।
વૃન્દાવને ગોધનવૃન્દચારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૫।।
યમુનાજીના તીર ઉપર કુમારિકાઓના ચીરને હરણ કરનારા, તેમને કામકલાપૂર્વક મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના ટોળામાં ફરનારા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૫)
વ્રજેન્દ્રસર્વાધિકશર્મકારી, મહેન્દ્રગર્વાધિકગર્વહારી ।
વૃન્દાવને કન્દફલોપહારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૬।।
નંદરાયજીનું અધિક કલ્યાણ કરનારા, ઈન્દ્રના પરમ ગર્વને દૂર કરનારા, વૃન્દાવનમાં કંદ અને ફળોને આરોગનારા, એવા શ્રી ગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૬)
મનઃકલાનાથતમોવિદારી, બંશીરવાકારિતતત્કુમારિઃ ।
રાસોત્સવોદ્વેલ્લરસાબ્ધિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૭।।
મનમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનારા ચન્દ્ર જેવા, બંશીના શબ્દથી વ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસમહોત્સવમાં ઊછળી રહેલા રસસાગરમાં વિહરતા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૭)
મત્તદ્વિપોદામગતાનુકારી, લુંઠત્પ્રસૂનાપ્રપદીનહારી ।
રામોરસસ્પર્શકરપ્રસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૮।।
ઉન્મત્ત ગજેન્દ્રના સરખી ચાલથી ચાલનારા, પગની પાની સુધી ઝૂકી રહેલા પુષ્પોના દિવ્ય હારવાળા, શ્રીલક્ષ્મીજીના વક્ષઃસ્થળને સ્પર્શ કરવા કરકમલને લંબાવી રહેલા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૮)