શ્રીજીબાવા માગીને આરોગે છે

શ્રીજીબાવા માગીને આરોગે છે

શ્રીગિરિરાજજીની તળેટીમાં આન્યોર નામનું ગામ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં ત્યાં સદુ પાંડે નામના એક વ્રજવાસી રહે. તેમને ૧૨ વર્ષની એક દીકરી હતી. તેનું નામ હતું નરો.

એક દિવસ સવારે શ્રીજીબાવા સદુ પાંડેના ઘેર આવ્યા. તેઓ તેમની સાથે મંદિરમાંથી સોનાની નાની વાડકી લઈ આવ્યા. તેમણે નરોને કહ્યુઃ ‘નરો, મને દૂધ આપ.’

‘મહારાજ ! આ વાડકી તો નાની છે. આમાં કેટલું દૂધ માશે?’

શ્રીજીબાવાએ કહ્યુઃ ‘તું મને આપ્યા કર અને હું પીધા કરીશ.’

નરો વાડકીમાં દૂધ રેડે છે અને શ્રીજીબાવા આરોગે છે. શ્રીજીબાવા તે વાડકી ત્યાં જ મૂકીને પાછા મંદિરમાં પધાર્યા.

નરો બીજા દિવસે મંદિરે ગઈ ત્યારે તે સોનાની વાડકી સાથે લઈ ગઈ. તેણે કહ્યું, ‘શ્રીજીબાવા સોનાની વાડકી લઈને આવ્યા હતા અને દૂધ પીને વાડકી મારે ઘેર મૂકીને ગયા છે. તે પાછી લો.’

આ સાંભળી બધા સેવકો આશ્ચર્ય પામ્યા.

શ્રીજીબાવા આજે પણ પોતાના વૈષ્ણવો પાસે પ્રેમથી માગીને આરોગે છે. તમે તેમને મિસરીનો ભોગ ધરશો?

મૈં નહીં માખન ખાયો

સૂરદાસજી અષ્ટછાપ કવિઓમાં મુખ્ય. શ્રીમહાપ્રભુજીના પ્રિય સેવક. એમનાં બાળલીલાનાં પદ દુનિયાભરના સાહિત્યમાં અજોડ ગણાય એવાં. એવું જ એક પદ અને તેની ભાવવાર્તા –

મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો.
ભોર ભયે ગૈયનકે પીછે, મધુબન મોહિં પઠાયો,
ચાર પહર બંસીબટ ભટક્યો, સાંઝ પરે ઘર આયો.
મૈં બાલક બહિયનકો છોટો, સીંકો કેહિ બિધિ પાયો?
ગ્વાલબાલ સબ બૈર પરે હૈં, બરબસ મુખ લપટાયો.
તૂ જનની મનકી અતિ ભોરી, ઈનકે કહે પતિયાયો,
જિય તેરે કછુ ભેદ ઉપજાયો, જાનિ પરાયો જાયો.
યહ લે અપની લકુટ-કમરિયા, બહુત હી નાચ નચાયો,
સૂરદાસ તબ બિહઁસી જશોદા, લઈ ઉર કંઠ લગાયો.

–    સૂરદાસ

રૂડું રૂપાળું ગોકુળિયું ગામ. ત્યાં નંદબાવાનું રાજ. અપાર ગાયોના એ ધણી. એમનાં પત્ની જશોદાજી. એમને ઘૈર કાન્હકુંવર અવતર્યા. સાક્ષાત્ પરબ્રહ્મનો જ અવતાર. શ્યામ વર્ણ, વાંકડિયા કેશ. મનને મોહી લે તેવી, ચમકતી મધુર આંખો. પરવાળા જેવા હોઠ. હૃષ્ટપુષ્ટ શરીર. ચહેરા પર દિવ્ય તેજ. જે જુએ તે એમનામય થઈ જાય.

આ બાળુડા કુંવરને સૌ જાતજાતનાં નામ દઈ વહાલ કરે – કા’નો, કાનજી, કનૈયો, નંદકુંવર, કાન્હકુંવર. પણ વધારે જાણીતો ‘માખણચોર’ના નામે. કાનજીનો એ જમાનો ગોપસંસ્કિતનો. ગોકુળમાં સૌને ઘેર ગાયો. દૂધ-દહીં-માખણની કોઈ કમીના નહીં. દૂધ-ઘીની નદીઓ વહે. ગોપીઓ એ દૂધ-ઘી મથુરામાં વેચવા જાય. કાનજીને એ ન ગમે. ઘરમાં બાળક દૂધ વિના ટળવળે ને કંસના મથુરામાં દૂધ-ઘી જાય? આથી દૂધ-ઘી લઈ, મથુરા જતી ગોપીઓને રોકે. દાણ માગે. મટકાં ફોડે. ઘરમાં ઘૂસી ગોરસ પણ ઢોળે.

ગોકુળમાં કાનજી ફાવે તેના ઘરમાં ઘૂસી જાય- એકલા નહીં, ગોપબાળોની ટોળકી સાથે. કાનજી બધું માખણ ગોપબાળોને લૂંટાવી દે. ગોકુળ આખાની ગોપીઓ તોબા પોકારી ગઈ. કાનજીની ફરિયાદ લઈ રોજ જશોદામા પાસે આવે. છોકરાને સમજાવવા ભારપૂર્વક કહે.

પણ કાનજી જેનું નામ. જેટલાં ઝાઝાં એનાં નામ, એટલાં જ ઝાઝાં એનાં પરાક્રમ. માખણ ખાવા-ખવડાવવામાં તો એને ઑર મજા આવે. જેમ ગોપીઓ ફરિયાદ કરે એમ કાનજી વધુ કનડે. કંટાળીને જશોદામા કાનજીને તતડાવે. આથી કાનજીએ જશોદામાને પાઠ ભણાવવાનો વિચાર કર્યો.

એક દિવસ જશોદામા કંઈક કામે બહાર ગયાં. લાગ જોઈ, કાનજી તો ગોપમંડળી સાથે ઘૂસ્યા ઘરમાં. અધ્ધર શિંકા પર માખણની મટકી. ગોપબાળોને કર્યા ઘોડા. એક ઉપર એક, એમ છેક ચઢી મટકી ઉતારી. પછી બેઠા બધાંને માખણ વહેંચવા. ગોપબાળ ધિંગામસ્તી કરતા જાય, માખણ-મિસરી ખાતા જાય.

એટલામાં તો જશોદામા આવી પહોંચ્યાં. ઘરમાં બાળકોની ખા-ખા-ખિ-ખિ સંભળાઈ. ચુપચાપ આવ્યાં ઘરમાં. જુએ છે તો માખણમિસરી ખાવામાં બધા મશગૂલ.

ચતુર કાનજી જશોદામાને જોઈ ગયા. એમણે થોડુંક માખણ પોતાના મોં ઉપર ખરડ્યું. ગોપ-સખાઓને સાન કરીઃ ભાગો, મા આવ્યાં! પણ જશોદામા બારણું રોકીને જ ઊભેલાં. સખા બધા ત્યાં જ ઠરી ગયા. માએ લીધા ઊધડા, ‘બોલો, શું કરતા’તા?’

‘કંઈ નહીં મા! અમે તો રમવા આવ્યા’તા !’ શ્રીદામા બોલ્યો.

‘કોણે બોલાવ્યા’તા?’

‘મા, અમને કાનાએ બોલાવેલા.’ બીજાએ કહ્યું.

‘અને મા, માખણ તો કાનજીએ જ ખાધું છે. અમે છાનામાના બેઠા હતા!’ રડમસ અવાજે ત્રીજો પોતાનો બચાવ કરતો હતો.

માએ હવે કાનજીનો કાન પકડ્યોઃ ‘કાન્હ! સાચું કહે. શું માંડ્યું છે આ બધું?’

હવે આ ચતુર કાનજીનો ખુલાસો સાંભળો. એ કહે છે-

‘મા! સાચું કહું છું. મેં કંઈ માખણ-બાખણ ખાધું નથી. તું મને પરોઢિયે તો ગાયો ચરાવવા મધુવનમાં મોકલી દે છે! આખો દી’ ત્યાં ગાયો ચરાવું છું. ગોરજ ટાણે, ગાયો લઈને થાક્યો-પાક્યો ઘેર આવું છું. તું આપે તે વાળુ કરી, પોઢી જાઉં છું.’

આટલું બોલતાં તો કાનજી બોલી ગયા, પણ એમને લાગ્યું કે કંઈક આડું વેતરાઈ ગયું. અત્યારે તો ઘરમાં જ માખણ ખાતાં પકડાઈ ગયા છું. વાતને વાળી લેતાં એમણે તર્ક ચલાવ્યો, ‘….અને મા! માખણની મટકી તો તું શિંકા ઉપર ઊંચે લટકાવે છે. હું રહ્યો નાનો બાળ. આ મારા નાનકડા હાથ જો. ઊંચા શિંકા સુધી હું શી રીતે પહોંચી શકું?’

એમ કહી, મોઢે હાથ ફેરવ્યો. માખણનો સ્ફર્શ થયો. ચેતી ગયા. આનું શું કરવું? જરા મીઠાશથી બોલ્યા, ‘મા! આ માખણ જોઈને તું એમ માને છે ને કે મેં માખણ ખાધું? પણ આ દેખાય છે તે ખોટું. આ માખણ તો બધા ગોપબાળોએ ભેગા થઈ, પરાણે મારા મોં પર ચોપડ્યું છે; તેથી મારા પર આળ ચડાવી શકે. એ બધા જૂઠું બોલે છે.’

અને પછી જરાક ગુસ્સો કરતાં કહે છે, ‘મેં નથી ખાધું તારું માખણ. તું આ બધાંની વાત માની લે છે ને મારી વાત તો સાંભળતી જ નથી. જરૂર કાં તો તું ખૂબ ભોળી છે; કાં તો તારા મનમાં કંઈક ભેદ જાગ્યો છે. દાઉભૈયા સાચું જ કહે છે કે હું તારો દીકરો નથી. તું મને પારકો જણ્યો માને છે. માટે જ મારી વાત પર તને ભરોસો બેસતો નથી.’

હવે કાનજી રિસાયા. ઠમકો કરી, કામળી ને લાકડી લઈ આવ્યા. મા સામે ધરીને બોલ્યા, ‘ભલે. તું મને પરાયો માનતી હોય, તો લે આ તારી લાકડી ને લે આ તારી કામળી. કાલથી ગાયો ચરાવવા જાય એ બીજા. એક તો મને હેરાન કરે છે ને પાછી વાત તો માનતી જ નથી. તો સાંભળી લે, તારું બધું માખણ હું જ ખાઈ ગયો છું, બસ!’

પછી બાલસખાઓને ધમકાવીને કહે છે, ‘જાઓ બધા સહુસહુના ઘેર. ખબરદાર, જો હવે મારી સાથે રમવા આવ્યા છો તો! કાલથી ગાયો ચરાવવા પણ નથી આવવાનો, જુઠ્ઠાઓ! જાઓ.’ બધાંને એમ કરી ભગાડી મૂક્યા. પછી રડમસ ચહેરે એક ખૂણામાં જઈ ભરાઈ ગયા.

જશોદામા આ લીલા જોઈ ખૂબ રાજી થયાં. એમનો ગુસ્સો ઓગળી ગયો. હસીને એ કાનજી પાસે આવ્યાં. વહાલથી માથે હાથ ફેરવ્યો. છાતી સરસો ચાંપી, ચૂમી ભરીને કાનજીને મનાવી લીધો.

આવા છે કૃપાળુ કાનજી!

કાનજીનાં આ પરાક્રમો, આમ તો બાળલીલા ગણાય છે, પણ એમની આ લીલા કેવળ નિજાનંદ માટેની નથી. એમાં સકળના સુખની ભાવના છે. સાચા સમાજવાદનાં દર્શન છે. એક ક્રાન્તિકારી વિચાર છે. પ્રભુની આ બાળલીલાનાં ગાન સૂરદાસજીએ ખૂબ ગાયાં છે.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી